Monday 8 March 2021

વિજયા એકાદશી - મહા વદ / કૃષ્ણ પક્ષ:




 

વિજયા એકાદશી - મહા વદ / કૃષ્‍ણ પક્ષ:

એકાદશી ની કથા:

બ્રહ્માજીએ કહ્યું : “નારદ ! મહા મહિનાના વદ / કૃષ્‍ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત ઘણુંજ પ્રાચીન, પવિત્ર તથા પાપનાશક પણ છે. રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી.”

ત્રેતાયુગમાં શ્રી રામ જયારે લંકા પર આક્રમણ કરવા માટે વાનર સેના ભેગી કરી સમુદ્ર કિનારે પહોચ્‍યા ત્‍યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઇ ઉપાય સુઝતો ન હતો. ત્‍યારે તેમણે લક્ષ્‍મણજીને પૂછયું હતું કેઃ “અત્‍યંત અગાધ અને ભયંકર જળચર પ્રાણીઓથી ભરેલ આ મસુદ્રને કેવી રીતે પાર કરી શકાય?”

લક્ષ્‍મણજી બોલ્‍યાઃ અહીથી અડધો યોજન દૂર કુમારી દ્વિપમાં બકદાલભ્‍ય મુનિ રહે છે. આપ એ પ્રાચીન મુનિ પાસે જઇને એમને જ આનો ઉપાય પૂછો.” શ્રી રામ, મુનિ બકદાલભ્‍યના આશ્રમે પહોચ્‍યા અને એમને પ્રણામ કર્યાં. મુનિએ પ્રસન્‍ન થઇને આગમનનું કારણ પૂછયું. શ્રી રામ બોલ્‍યાઃ “મુનિ વર! હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્‍યથી મારી સેના સહિત અહીં આવ્‍યો છું. હે મુનિ! હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો.”

બ્રહ્માજી કહે છેઃ “નારદ! આ સાંભળીને શ્રીરામે મુનિના કથાનુસાર એ સમયે વિજયા એકાદશી નું વ્રત કર્યું. આ વ્રત કરવાથી શ્રીરામ વિજયી થયાં. એમણે સંગ્રામમાં રાવણને માર્યો. લંકા પર વિજય પ્રાપ્‍ત કર્યો. અને સીતાજીને ફરી પ્રાપ્‍ત કર્યા."

 મુનિશ્રી બોલ્‍યાઃ “હે રામ! મહા મહિનાના કૃષ્‍ણ પક્ષમાં “વિજયા” નામની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી આપનો વિજય થશે. આપ ચોકકસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો."

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રીમહાપ્રભુજી કહે છે કે जीवा: स्वभावत: दुष्टा: જીવમાં બ્રહ્મના ગુણો સત અને ચિત્ત મોજુદ છે, પરંતુ જીવ બ્રહ્મથી વિખૂટો પડતા કામદોષ, સ્વભાવદોષ, સ્પર્શદોષ, વિગેરેને કારણે જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર છ પ્રકારના દોષો આવ્યા.

શ્રીમહાપ્રભુજીએ જીવના દોષોને દૂર કરવા બ્રહ્મસંબંધ આપી ' શ્રી કૃષ્ણ સેવા સદાકાર્યા' એ મંત્ર આપીને તનુજા-વિત્તજા સેવા દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર પર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી.

કૃપાપાત્ર વલ્લભી વૈષ્ણવોએ પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહા વદ એકાદશીએ વિજય મેળવ્યો, જેથી આ એકાદશીને વિજ્યા એકાદશી કહે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

સ્કંદ પૂરાંણ અનુસાર ભગવાન રામરામચંદ્રજીએ સમુદ્ર સેતુ બાંધીને ધર્મના વિજય અને અધર્મના નાશ અર્થે આ દિવસે લંકા પ્રયાણ કર્યું હતું. આ એકાદશીના વ્રતનું અતુલ્ય મહત્વ છે, વ્રત કરનાર સર્વ કર્યોમાં વિજયી થાય છે.

આરતી:

જય વિજયા એકાદશી ,જય જય વિજયા એકાદશી

મહા માસે પધારે ,કૃષ્ણ પક્ષ માં વિસ્તારે

વિજય સર્વે અપાવે ,કર્મ કરે જે ધારે …………………..જય જય

રામ ગયા પર સમુદ્રે ,મહદ્કરી એ શુદ્રે

કળશ નીચે સાત અનાજ ,જે આ દિને મુકે ……………..જય જય

સ્વર્ણ પ્રતિમા નારાયણ ,કરે મન માં જો ધારણ

વ્રત કરે એ મન થી ,પાયે સ્વર્ગ નું તારણ …………….જય જય

No comments:

Post a Comment