Tuesday 16 June 2020

યોગિની એકાદશી



યોગિની એકાદશી - જેઠ વદ / કૃષ્ણ પક્ષ:

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “નૃપશ્રેષ્‍ઠ! જેઠ મહિના ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે.

એકાદશી ની કથા:

 

કથા સંભળાવતાં શ્રી કૃષ્ણ કહે છે કે, અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભકિતમાં તત્પર રહેનારા છે. એમનો હેમ નામનો એક માળી પણ હતો જે પૂજા માટે હંમેશા ફૂલ લાવતો હતો. એક દિવસ હેમ માળી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઇ ગયો અને પત્ની વિશાલાક્ષી ના પ્રેમપાશમાં ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઇ શકયો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યાં હતા. એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઇ. જયારે પૂજાનો સમય વ્યતીત થઇ ગયો તો યક્ષરાજે ક્રોધિત થઇને સેવકોને કહ્યું: યક્ષો! દુરાત્‍મા હેમ માળી કેમ આવ્‍યો નથી? ”

યક્ષોએ કહ્યું: “રાજન! એ તો પત્‍નીની કામનામા આશકત થઇને રમણ કરી રહ્યો છે.” વાત સાંભળીને કુબેર ક્રોધિત થઇ ગયા અને તરત જ હેમ માળીને બોલાવ્‍યો. એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઇને કુબેર બોલ્‍યા. “ઓ પાપી.! અરે દુષ્‍ટ! ઓ દુરાચારી! તે ભગવાનની અવહેલના કરી છે. આથી કોઢથી યુકત અને પોતાની પ્રિયતમાંથી વિયુકત થઇને આ સ્‍થાનથી ભષ્‍ટ થઇ બીજે ચાલ્‍યો જા.”
કુબેરના એમ કહેવાથી એ સ્‍થાનેથી એનું પતન થયું. કોઢથી આખું શરીર પીડીત હતું. પરંતુ શિવપુજાના પ્રભાવથી એની સ્‍મરણ શકિત લુપ્‍ત ન થઇ. ત્‍યાર પછી એ મેરુગિરીના શિખર પર ગયો. ત્યાં મુનિ માર્કંડેયજી ના એને દર્શન થયાં.

પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડેયજી એ એને ભયથી કાંપતો જોઇને પૂછયું. “તને કોઢના રોગે કેવી રીતે ઘેરી લીધો?” યક્ષ બોલ્‍યોઃ “મુનિ! હું કુબેરનો અનુચર હેમ માળી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂજન સમયેં કુબેરને આપતો હતો. એક દિવસ પત્‍ની સહસવાસના સુખમાં ફસાઇ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું આથી રાજા કુબેરે ક્રોધિત થઇને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢના આંક્રાંત થઇને મારી પત્‍નીથી વિખુટો પડી ગયો. હે મુનિવર! સંતોનું ચિત્ત સ્‍વભાવતઃ પરોપકારમાં લાગેલું રહે છે. એ જાણીન. મુજ અપરાધીને કર્તવ્ય નો ઉપદેશ આપો.”

માર્કંડેયજીએ કહ્યું : “તેં સાચી વાત કહી છે. આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તુ જેઠ માસની કૃષ્‍ણ પક્ષની “યોગીની” એકાદશીનું વ્રત કર. આ વ્રતના પૂણ્યથી તારો કોઢ દૂર થઇ જશે.” ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છેઃ “રાજન ! માર્કંડેયજીના ઉપદેશથી એણે યોગિની એકાદશીનું વ્રત કર્યું. એનાથી એના શરીરનો કોઢ દૂર થઇ ગયો. આ વ્રતનું અનુષ્‍ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઇ ગયો.”

 

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અષ્ટસખા કુંભનદાસે મનને એકાગ્ર કરવાવાળી યોગસ્થિતી એમની સંયોગ વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક તેમને ઉક્ત ઉભય અંગસ્વરુપ સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી, તે દિવસ યોગીની એકાદશીનો હતો.

મર્યાદામાર્ગીય ભાવના:

કૈલાસમાં શંકર પાર્વતીનો બ્રહ્મરાત અને વિષ્ણુરાતના વિવાદ નો પ્રસંગ છે. જેમકે 'યોગી' એટલે શંકર અને 'ની' એટલે પાર્વતી. તેનો ભાવ એ છે કે વદ એકાદશી હોવાથી શંકર પાર્વતીએ જાગરણ કર્યું હતું ત્યારે બ્રહ્મરાત અને વિષ્ણુરાતનો ઉલ્લેખ કર્યો હતો. એથી શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જેઠ વદ યોગીની એકાદશીનું માહાત્મ્ય કહ્યું હતું. તેની કથા અને વ્રત, વિધિ માર્કન્ડેય ઋષિએ યક્ષોને કહી હતી. આ વાત બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જેઠ વદ યોગીની એકાદશીના મહાત્મ્યમાં કહેલી છે.

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

સાકર

 

ફળ પ્રાપ્તિ: 

આ એકાદશીનું વ્રત કરનારને અઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે તે ફળ મળે છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી મનુષ્‍ય બધાય પાપોમાંથી મુકત થઇ જાય છે.

આરતી:

જય યોગીની એકાદશી ,જય જય યોગીની એકાદશી

જેઠ મહિને છલકાવે ,કૃષ્ણપક્ષ માં દોડી આવે

ધર્મરાજ ને બતાવી ,કૃષ્ણ એને રે લાવે ……………….જય જય યોગીની એકાદશી .

હેમ માલી  ઉદ્ધાર્યો ,પાપ માર્ગ થી  તાર્યો

રાહ પુણ્ય દેખાડ્યો ,દાનવ ને તે માર્યો …………………જય યોગીની એકાદશી

વ્રત યોગીની કરે જે કોઈ ,હ્રદય માતા ધરે જે કોઈ

એનો ઉદ્ધાર નક્કી ,યોગીની વ્રત  ફળે સૌ હોઈ ……….જય યોગીની એકાદશી

 

 

 

 

Monday 1 June 2020

નિર્જળા, પાંડવ કે ભીમ એકાદશી




નિર્જળા, પાંડવ કે ભીમ એકાદશી - જેઠ સુદ / શુક્લ પક્ષ:

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે,”શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન! એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે. કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ-વેદાંતના વિદ્વાન છે.”

એકાદશી ની કથા:

 

ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યાઃ “બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણો ને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. રાજન ! જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.”

આ સાંભળીને ભીમસેન બોલ્‍યાઃ “પરમ પિતામહ ! મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુન્‍તી, દ્રોપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે કયારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એજ કહે છે,  “ભીમસેન ! તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો.” પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છુ કે મારાથી ભૂખ સહન થતી નથી.”ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા: “જો તમે સ્‍વર્ગલોકની પ્રાપ્તી  ઈછતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું.”

 

ભીમસેન બોલ્યાઃ “પણ પિતામહ ! હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું ?” મારા ઉદરમાં “વૃક” નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જયારે હું ખૂબ વધારે ખાઉ છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુની ! હુ બહું બહું તો વર્ષ ભરમાં ફકત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્‍તી થાય અને જે વ્રત કરવાથી મારું કલ્‍યાણ  થાય એવું કોઇ એક વ્રત મને કહો. હું એનું પાલન જરુર કરીશ.”

 

વ્‍યાસજીએ કહ્યું : “ભીમ ! જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્‍નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફકત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઇ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું. અન્યથા વ્રતનો ભંગ થઇ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્‍ય જળનો ત્‍યાગ કરે તો આ વ્રત પુર્ણ થાય છે.

ત્યાર બાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સૂવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જિતેન્‍દ્રીય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે, એ બધી નું ફળ મનુષ્‍ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે “જો માનવ બધુ છોડીને એક  માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોપોથી છૂટી જાય છે.”

એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ-પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સ્વભાવ વાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઇ જાય છે.

માટે નિર્જળ એકાદશીના દિવસે યત્‍નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ ! જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઇ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પૂણ્યનો ભાગી બને છે.”

આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરુ કરી દીધું ત્‍યારથી એ પાંડવ, નિર્જળા કે ભીમ એકાદશી નામથી વિખ્યાત થઇ.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

જળ પણ ન લેવાય તેથી તેને નિર્જળા એકાદશી કહે છે. ભીમે જળ લીધા વિના આ એકાદશી કરેલી, પરંતુ શ્રી કૃષ્ણના કહેવાથી શ્રી યમુનાજીનું પયપાન કરેલું. ચૂસ્ત વૈષ્ણવો પણ શ્રી યમુનાજીનું પયપાન કરી એકાદશીનું વ્રત કરી શકે છે.

 

મર્યાદામાર્ગીય ભાવના:

પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનું માહાત્મ્ય કહેલું છે, જો તમે બધી એકાદશીનું વ્રત ન કરી શકો તો આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરીને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

 

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

કેરી

 

ફળ પ્રાપ્તિ: 

 

આ એકાદશીનું વ્રત કરનારના સુમેરૂ કે ચંદ્રાલય પર્વત જેવડા મહા પાપો પણ નષ્‍ટ થઇ જાય છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી અમાસના દિવસે સૂર્યગ્રહણ હોય અને વ્રત કરી પિતૃઓને અંજલિ આપવાથી જે ફળ મળે છે તે, અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

 

આરતી:

જય નિર્જળા એકાદશી ,જય જય નિર્જળા એકાદશી

જેઠ માસ માં ન્યારી ,શુકલ પક્ષ માં છે પ્યારી ,

પાંડવો ની હિતકારી ,સ્વર્ગ ની અધિકારી …………જય નિર્જળા એકાદશી .

વિષ્ણુ પૂજા સૌ કરતા ,ગૌદાન પણ ફળતા ,

કથા જે કોઈ સાંભળે,પુણ્ય કરોડો મળતા ……………જય નિર્જળા એકાદશી .

જીવન સંવારી દીધું ,એવું કામ નિર્જળા કીધું ,

ઊંચું પદ અપાવ્યું અમને ,દુખડું તે હરિ લીધું ………..જય નિર્જળા એકાદશી .