Monday 22 February 2021

જ્યા એકાદશી: મહા સુદ / શુક્લ પક્ષ


 

જ્યા એકાદશી: મહા સુદ / શુક્લ પક્ષ

એકાદશી ની કથા:

 

જેની કથા ઈન્દ્ર અને ઈન્દ્રસભાની પુષ્‍પવંતી નામની અપ્સરા તેમજ પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન નામના ગાંધર્વને અનુલક્ષીને છે.

 

સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજય કરતાં હતાં. દેવગણ પારિજાત વૃક્ષોથી યુકત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા, સ્વેચ્છાનુંસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં પુષ્પદંત - માલ્યવાન નામે ગાંધર્વ અને, ચિત્રસેન અને એની પત્ની માલિની પુત્રી લાવણ્ય-સૌંદર્યવાન પુષ્પવતી સાથે આવ્યાં હતા. માલ્યવાન પુષ્પવતી બંને પરસ્પર મોહને વશીભૂત ગઇ ગયા આ બંનેનું ગાન થઇ રહયું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી. માલ્યવાન અને પુષ્પવતી ને પરસ્પર આકર્ષણ ચિત્તમા ભૂતિ આવી ગઇ, આથી તેઓ શુધ્ધ ગાન ન કરી શકયાં. કયારેક તાલનો ભંગ થઇ જતો કયારેક ગીત બંધ થઇ જતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઇ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યાઃ “તમે બંને મુર્ખ અને પાપી છો, તમે મારા આદેશનો ભંગ કર્યો છે આથી તમને શ્રાપ આપું ચુ. તમે મારા આદેશનો બંને પતિ-પત્નીના રુપમાં પિશાચ બનશો અને પૃથ્વી પર તમારા કર્મના ફળ ભોગવશો.” 

 

અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારિરીક યાતનાથસ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઇને બન્ને હિમાલય પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. ચિંતામગ્ન થઇને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતાં હતાં. દેવયોગે એમના મહા મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઇ ગઇ. “જયા” નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું. કોઇ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુકત થઇને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યાં. સૂર્યાસ્ત થઇ ગયો, એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઇ. એમને ઉંઘ પણ ન આવી.

 

સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતિ દ્વારા “જયા” એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઇ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શકિતથી એ બંનેનું પિશાચ પણું દૂર થઇ ગયું. પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ રુપમાં આવી ગયા. એમના હદયમાં એજ જૂનો સ્નેહ ઉભરાઇ રહ્યો હતો. એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રુપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઇને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યાં.

 

ભગવાન વિષ્ણુને શેરડી અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રી ગુંસાઈજી એ વ્રજ પરિક્રમા દરમ્યાન ઘણાં અધમમાં અધમ સેવકોને શરણે લીધા અને પોતાની કૃતિ અને કર્મોથી ભૂતપ્રેત યોનિમાં ગયેલા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે.

કૃષ્ણદાસ અધિકારીએ આપના પ્રત્યે શત્રુતા રાખી આપને શ્રીનાથજીની સેવામાંથી દૂર કર્યા, આપને સેવા પાછી મળી છતાં આપે કોઈ કટુતા રાખી નહીં એટલું જ નહીં કૂવામાં પડી જવાથી કૃષ્ણદાસ અધિકારી ના ભૂતપ્રેત યોનિમાં ગયેલા જીવનો પણ કર્યો તેથી શ્રી વિટ્ઠલેશ પ્રભુચરણને આપણે શ્રી ગુંસાઈજી પરમ દયાલ પણ કહીએ છીએ.

મર્યાદામાર્ગીય ભાવના:

પૂર્વે જય અને વિજય નામના ભગવાન શ્રીવિષ્ણુના પાર્ષદો એક ઋષિના શાપથી પિશાચ યોનિને પ્રાપ્ત થઇ અતિ કષ્ટ ભોગવતા હતા. એક વખત જળ કે ફળ ન મળવાથી અનાયાસે એકાદશી નું વ્રત થઇ ગયું આથી આ એકાદશી 'જયા એકાદશી' નામે પ્રસિદ્ધ થઈ, અને હીન યોનિમાંથી મુક્ત થયા.

આરતી:

જય જય જયા એકાદશી ,જય જય જયા એકાદશી

મહા માસે તું મળતી ,સર્વ જનો ને ફળતી

ભુત પ્રેત ભાગે રે ,ભય ડર ને હરતી ………જય જય જયા એકાદશી

માલ્યવાન ને તર્યો ભુત પિચાશ ને માર્યો ,

મુક્તિ અપાવી પાપ થી ,દુષ્ટ ને ઉદ્ધાર્યો ….જય જય જયા એકાદશી

કુયોની થી બચાવે,પુણ્યફળ તું લાવે

દાન આદિ ને કરતા ,કૃપા કરી બચાવે ……જય જય જયા એકાદશી .

 

 

Saturday 6 February 2021

ષટતિલા એકાદશી - પોષ વદ / કૃષ્ણ પક્ષ:



ષટતિલા એકાદશી - પોષ વદ / કૃષ્ણ પક્ષ:

એકાદશી ની કથા:

જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

પ્રાચીનકાળમાં પૃથ્વી પર એક બ્રાહ્મણી રહેતી હતી. ભગવાનની ભક્તિ કરતાં કરતાં તે જુદા જુદા વ્રત કરતી હતી, પરંતુ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી નહીં, ઉપરાંત ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કર્યું નહીં. ભગવાને વિચાર્યું કે આ સ્ત્રી વૈકુંઠમાં રહીને પણ અતૃપ્ત રહેશે તે પવિત્ર આત્ત્મા હોવાથી ભગવાન ભિખારી, બ્રાહ્મણનો વેશ ધારણ કરી તે બ્રાહ્મણીને ઘેર ભિક્ષા માંગવા ગયા. તેણે એક માટીનો પીંડ ઉઠાવીને ભગવાનના હાથમાં રાખી દીધો. ભગવાન તે પીંડ લઈને સ્વધામ પરત આવી ગયા. કેટલાંક દિવસો પછી તે સ્ત્રી દેહત્યાગ કરીને ભગવાનના ધામમાં આવી ગઈ.

અહિં તેને એક કુટિર અને કેરીનું ઝાડ મળ્યું. ખાલી કુટિરને જોઈને તે સ્ત્રી ગભરાઈને ભગવાન પાસે આવી અને બોલી કે હું તો ધર્મપરાયણ છું તો પછી મને ખાલી કુટિર કેમ મળી. ત્યારે ભગવાને તેને જણાવ્યું કે તેં અન્નદાન નથી કર્યું, મને પણ માટીનો પીંડ અર્પણ કર્યો તેનાથી આમ થયું છે. આમાંથી કેવી રીતે મુક્તિ મળે તે પૂછતાં ભગવાને સ્ત્રીને જણાવ્યું કે જ્યારે દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાથી તારા દર્શન કરવા આવે ત્યારે તમે પોતાના દ્વાર ત્યારે જ ખોલજો જ્યારે તે તમને ષટતિલા એકાદશીનું વ્રત અને વિધાન જણાવે.

દેવીઓ પાસેથી સાંભળ્યા પ્રમાણે બ્રાહ્મણીએ ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કુટિર અન્નથી, સંપત્તિ, સુવર્ણ થી ભરાઈ ગઈ અને તે સૌંદર્યવાન બની.


ભગવાન વિષ્ણુને કોપરું અવશ્ય ધરાવવું.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં પ્રભુના નિત્યસેવાક્રમમાં તહેવારના અને ઉત્સવના દિવસોમાં પ્રત્યેક સામગ્રી, વસ્ત્રાભૂષણો વગેરે સર્વ વ્રજભક્તોના વિવિધ ભાવરૂપે છે, તેમાં વ્રજલીલાઓની ભાવનાઓનું પ્રાધાન્ય છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજીએ સેવ્ય સ્વરૂપની સેવા પ્રકારનાં નંદાલયને નિકુંજ લીલાઓની ભાવનાઓનો બહુ જ સરળ અને સુંદર રીતે સમન્વય કર્યો છે. આ સર્વ પ્રકાર વેદ, વેદાંત યોગ અને નક્ષત્ર પ્રમાણે જ ઘટાવ્યો છે; અને તે સામગ્રી દ્વારા અવગાહન કરાય છે.

ષટતિલા એકાદશીની પુષ્ટિમાર્ગીય ભાવના એ છે કે આ દિવસે પ્રભુની સેવામાં છ પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે; જેમાં તલ નાખીને પ્રભુને સ્નાન કરાવાય, શ્રી અંગે તલ અંગીકાર કરાય, તલની વિવિધ સામગ્રી પ્રભુને ધરાય.

મર્યાદામાર્ગીય ભાવના:

મનુષ્ય તલનો છ પ્રકારે ઉપયોગ કરે છે: (૧) ખાદ્યતેલ રૂપે (૨) વ્યંજન બનાવવા (૩) ઔષધ બનાવવા (૪) શરીર મર્દનમાં (૫) યજ્ઞમાં હોમ - આહુતિ આપવામાં (૬) દાન આપવામાં. ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને કયેલા મહાત્મય મુજબ આ એકાદશીએ તલનું દાન અને હોમ કરવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે છે.