Friday 28 August 2020

વામન / જળઝીલણી / દાન / પરિવર્તિની એકાદશી


 

વામન / જળઝીલણી / દાન / પરિવર્તિની એકાદશી:  ભાદરવા સુદ / શુકલ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:  હે રાજન! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશીની કથા કહું છું. જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તેને હું સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણે દેવતા અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી.

 

આ એકાદશી વિવિધ નામ થી જાણીતી છે:

 

વામન એકાદશી:

પૂર્વે ત્રેતાયુગ માં બલીરાજા નામનો એક દાનવ થઇ ગયો. તે દાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો. તે સાદય તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો. તે મારો પરમ ભકત હતો અને મારી પૂજા પણ કરતો હતો, પોતાની ભકિતના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજય પ્રાપ્‍ત કરેલું, એટલે દેવો માટે તે શત્રુરુપ હોવાથી દેવાતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી એટલે મારે વામનરુપે તેને છેતરવો પડયો.

 

હું તેના આંગણે ભીક્ષા માંગવા ગયો. મેં તેની પાસે ત્રણ ડગલા પૃથ્‍વી માંગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો. મેં મારું વિરાટ સ્વરુપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં, જાંઘો ભુવન લોકમાં, કમર સ્‍વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં! મારુ આવુ સ્વરુપ જોતાં બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા મેં એક ડગલાથી પૃથ્‍વી અને બીજાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજું ડગલું ક્યાં    મૂકવું તે પૂછયું.

 

ત્‍યારે મારા પરમ ભકત બલિએ પોતાનું મસ્‍તક મારા ચરણોમાં મૂકી કહ્યું : હે જગતપતિ ! આપ ત્રીજું ડગલુ મારા મસ્‍તક પર મૂકો અને મેં મારો પગ તેના માથા પર મુકી તેને હું પાતાળમાં લઇ ગયો. ત્યાં તે મારા શરણે આવ્‍યો. ત્‍યારે મેં કહ્યું, હે રાજન ! તારી ભકિતીથી હું અત્‍યંત પ્રસન્‍ન થયો છું. તારે જે જોઇએ તે માંગ.

ત્‍યારે બલિ રાજાએ હાથ જોડીને કહ્યું : “રાજન્ ! હું સદાય તારી પાસે રહીશ. મે આ કાર્ય ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું તે દિવસથી મારી એક મૂર્તિ બલીરાજા પાસે ને બીજી ક્ષીસાગરમાં છે, હે ધર્મ રાજા !  એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય ક્યું હોવાથી એકાદશી કરનારને તથા તેનું મહાત્‍મ્‍ય ભકિત પૂર્વક સાંભળનારને હજાર અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે દહીંનું, રુપનું અને ચોખાનું દાન કરનાર સમસ્‍ત પાપોથી મુકત થઇ સ્‍વર્ગલોકમાં જાય છે.

 

આ દિવસે ભગવાન વિષ્ણુએ બલિરાજાનો ગર્વ ઉતાર્યો હતો. અને તેમને વામન સ્વરૂપ લઈને ત્રણ પગલા જમીન માંગીને તેમને પાતાળમાં ધકેલી દીધાં હતા, તેથી બીજે દિવસે વામન દ્વાદશી ઉજવવામાં આવે છે.

 

આ એકાદશી ને જયંતી એકાદશી પણ કહે છે. આ જયંતી એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપ નો નાશ થાય છે, અને નીચ, પાપીઓનો ઉદ્ધાર થઇ જાય છે.

 

જળઝીલણી કે પદ્મા એકાદશી:

 

જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે ગોપીઓની જેમ ભક્તોએ ભગવાન અને ગુરુના ચરણે મન અર્પિત કરવું જોઈએ તેવો સંદેશો આ જળઝીલણી એકાદશીથી મળે છે.

 

ભગવાન વિષ્ણુને દહીં-કાકડી અવશ્ય ધરાવવવા.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

દાન એકાદશી:

વેચવાની વસ્તુઓ ઉપર નીતિમાર્ગમાં લેવામાં આવતો રાજાનો ભાગ વેરો કે જકાત લેવામાં આવે છે (ગુજરાતીમાં તેને દાણ કહેવામાં આવે છે). વ્રજમાં શ્રી નંદરાયજીનું રાજ્ય હતું એટલે શ્રી ઠાકોરજી માલ પર દાણ માંગી શકે છે. શ્રી ઠાકોરજીએ વ્રજાંગનાઓના ગોરસના મટકા ફોડી એ દહીં સખાઓ, વ્રજભક્તો અને વાનરોને લૂંટાવ્યું છે.

પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી, મહીના દાન - ઘાટીના સ્થળે મહી, ગોરસથી ભરેલાં માટ ફોડીને લીધા છે. લૌકિક રીતે પ્રભુની આ લીલા પાછળનો જે ભાવ હોય તે પરંતુ અલૌકિક રીતે દાનલીલા, માનલીલા, રાસલીલા - આ બધી લીલાઓ પાછળ ગૂઢ રહસ્ય સમજવાની જરૂર છે, પ્રભુનો એક જ હેતુ હતો કે તે દ્વારા જીવની પોતાનામાં આસક્તિ વધારવી.

 

મર્યાદામાર્ગીય ભાવના:

પરિવર્તિની (પર્સવ) એકાદશી:

ભગવાન અષાઢ સુદ એકાદશીએ ક્ષીસાગરમાં શેષશૈયા પર પોઢવા પધારે છે અને કારતક સુદ એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ મનાય છે. એટલે આ એકાદશીને (પર્સવ) પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે.

 

 

Friday 14 August 2020

અજા એકાદશી

 

અનદા અથવા અજા એકાદશી: શ્રાવણ વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “નૃપશ્રેષ્‍ઠ! શ્રાવણ મહિના ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અનદા છે. એ બધા પાપોનો નાશ કરનારી ગણાઇ છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે, એના બધા પાપો નાશ પામે છે.

પૂર્વકાળમાં હરિશ્ર્ચંદ્ર નામના પ્રખ્‍યાત રાજા થઇ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા. કોઈ અજ્ઞાત કારણથી અને પોતાના વચનનું પાલન કરતાં એમને રાજય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા. પછી પોતાને પણ વેચ્યા. પુણ્યાત્મા હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી. સ્મશાનમાં મડદા પરનું કફન તેને મહેનતાણામાં મળતું.

આમ થવા છતાં પણ નૃપશ્રેષ્‍ઠ હરિશ્ર્ચંદ્ર સત્‍યથી વિચલિત ન થયા.
આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વિતી ગયા. એથી રાજાને ઘણી ચીંતા થઇ. તેઓ અત્‍યંત દુઃખી થઇને વિચારવા લાગ્‍યા. 
શુ કરું? કયાં જાઉ ? કેવી રીતે મારો ઉધ્‍ધાર થશે ? આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા.

રાજાને શોકાતુર જાણીને કોઇ મુનિ એમની પાસે આવ્‍યા તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્‍ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઇને નૃપશ્રેષ્‍ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યાં, અને બન્ને હાથ જોડીને મહર્ષિ ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી.

રાજાની વાત સાંભળીને મહર્ષિ ગૌતમે કહ્યું. “રાજન! શ્રાવણ માસમાં કૃષ્‍ણ પક્ષમાં અત્‍યંત કલ્‍યાણકારી અનદા નામની એકાદશી આવી રહી છે. એ પૂણ્ય પ્રદાન કરનારી છે. એનું વ્રત કરો, એનાથી પાપનો અંત થશે તમારા સદ્દભાગ્‍યે આજથી સાતમાં દિવસે જ એકાદશી છે, એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો, આના પરિણામે તારા બધા પાપો દૂર થશે.” આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઇ ગયાં.

મુનિની વાત સાંભળીને રાજાએ. ઉત્તમ વ્રતનું અનુષ્‍ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુકત થઇ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગી ઊઠયા. દેવલોકમાંથી ફુલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજય પ્રાપ્ત થયું. અને અંતે તેઓ પૂરજન અને પરિજન સાથે સ્‍વર્ગલોકને પામ્યાં.

જે આ એકાદશી વ્રત કરે છે એ બધા પાપોથી મુકત થઇને સ્‍વર્ગલોકમાં જાય છે. આને વાંચવા અને સાંભળવાથી અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્‍ત થાય છે.

 ભગવાન વિષ્ણુને ખારેક અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રીમદ્ ભાગવતમાં અજામિલની ચરિત્ર કથામાં જણાવ્યા પ્રમાણે તે ઘણો પાપી હતો, પરંતું તેના અંતિમ સમયે પોતાના પુત્રના નામોચ્ચારણ નિમિત્તે 'નારાયણ' બોલ્યો હતો તેથી તરત જ પ્રભુએ અનુગ્રહ કરી તેનો ઉદ્ધાર કર્યો, આ દિવસ શ્રાવણ વદ એકાદશીનો હતો આથી આ એકાદશી 'અજા એકાદશી' કહેવામાં આવે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

વ્યાસમુનિએ બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે શ્રાવણ વાળ એકાદશી નું વ્રત લોકોનું પરમ કલ્યાણ કરનાર સુખ સમૃદ્ધિ તથા,અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર આપનાર છે.