Wednesday 25 November 2020

પ્રબોધિની એકાદશી કે દેવ ઉઠી એકાદશી: કારતક સુદ / શુકલ પક્ષ


પ્રબોધિની એકાદશી કે દેવ ઉઠી એકાદશી: કારતક સુદ / શુકલ પક્ષ

કારતક સુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ જાગે છે. બલીરાજાના દરબારમાં ગયેલા ભગવાન વિષ્ણુ પુન:સ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન ભકતોએ જે જે તપ કર્યા ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા જેથી પ્રબોધિની એકાદશી એ દેવઉઠી એકાદશીના નામે ભક્તોની ભક્તિ દ્વારા સાર્થક બની.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે અર્જુન! હું તને મુકિત આપનારી પ્રબોધિની એકાદશી વિષે નારદજી અને બ્રહ્માજી વચ્‍ચે થયેલો વાર્તા લાપ કહું છું.

એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછયું હે પિતા! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે ? આપ કૃપા કરીને વિસ્‍તારથી એ બધું મને કહો.

બ્રહ્માજી બોલ્‍યાઃ હે પુત્ર! જે વસ્‍તુ ત્રિલોકમાં મળવી દુષ્‍કર છે, એ વસ્‍તુ ,પણ કારતક માસના શુકલ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્‍મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્‍ટ થઇ જાય છે. હે પુત્ર! જે મનુષ્‍ય શ્રધ્‍ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પૂણ્ય વર્વત સમાન અટલ થઇ જાય છે. અને એમના પિતૃઓ વિષ્‍ણુલોકમાં જાય છે. બ્રહ્મહત્‍યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રી જાગરણ કરવાની નષ્‍ટ થઇ જાય છે.

હે નારદ! મનુષ્‍યે ભગવાનની પ્રસન્‍નતા માટે કારતક માસની પ્રબોધીની એકાદશીનું વ્રત અવશ્‍ય કરવું જોઇએ. જે મનુષ્‍ય એકાદશીનું વ્રત કરે છે. એ ધનવાન, યોગી, તપસ્‍વી તથા ઇન્‍દ્રીયોને જીતનાર બને છે. કારણ કે એકાદશી ભગવાન વિષ્‍ણુની અત્‍યંત પ્રિય છે. આ એકાદશીના દિવસે જે મનુષ્‍ય ભગવાનની પ્રાપ્‍તી માટે દાન, તપ, હોમ, (ભગવાનના નામના જપ પણ પરમ્ યજ્ઞ છે.) વગેરે કરે છે. એમને અક્ષય પૂણ્ય મળે છે.

આથી હે નારદ! તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્‍ણુની પૂજા કરવી જોઇએ.” બ્રહ્માજીએ કહ્યું હે નારદ! આ એકાદશીના દિવસે મનુષ્‍યે બ્રાહ્મ મૂહૂર્તમાં ઉઠીને સંકલ્‍પ કરવો જોઇએ. અને પૂજા કરવી જોઇએ એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્‍ય, કથા-કીર્તન કરતા રાત વિતાવવી જોઇએ. પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્‍પ, અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઇએ. ભગવાનને અર્ધ્ય આપવો જોઇએ. એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડગણું અધિક હોય છે.

જે ગુલાબના પુષ્‍પથી, બકુલ અને અશોકના ફુલોથી, સફેદ અને લાલ કરેણના ફૂલોથી, દુર્વાકાળથી, શમીપત્રથી ભગવાન વિષ્‍ણુની પૂજા કરે છે, એ આવાગમના ચક્રમાંથી છૂટી જાય છે. આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્‍નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઇએ. અને સદાચારી ચરિત્ર બ્રહ્મણોને દિક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઇએ.

જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય, તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઇએ. જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિ પૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે, અને એ અંતે સ્વર્ગમાં જાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર,રાક્ષસના કુલમાં એક કન્યા નો જન્મ થાય છે એનું નામ વૃંદા રાખવામાં આવે છે.વૃંદા બાળપણ થી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા-પિતા એ તેમના વિવાહ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયેલા જાલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જાલંધર વધુ શક્તિશાળી બન્યા હતા.
જાલંધર જયારે પણ યુદ્ધ પર જતો ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી,વૃંદા ની ભક્તિને કારણે કોઈ પણ જાલંધરને મારી શકતું ન હતું.જાલંધરે દેવતાઓ પર યુદ્ધ કર્યું, બધાજ દેવતાઓ જાલંધર ને મારવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. જાલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુ જોડે જાય છે અને જાલંધર નામના રાક્ષસ નો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગે છે. પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જાલંધરનું સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાના પતિવ્રત ધર્મ ને નષ્ટ કર્યું. આનાથી જાલંધરની શક્તિ નબળી પડી અને તે યુદ્ધમાં માર્યો ગયો.જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિષે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો.
ભગવાન વિષ્ણુને પથ્થર ના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદા ને પ્રાર્થના કરી ત્યારે વૃંદા એ જગત ના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઇ લીધો અને પછી પોતે જાલંધરની સાથે સતી થઇ ગઈ પછી એમના શરીર ની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું અને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે આજથી હું તુલસી વગર પ્રસાદ ગ્રહણ નઈ કરું અને આ પથ્થર ને શાલિગ્રામ ના નામે થી તુલસી જી ની સાથે જ પૂજવામાં આવશે.કાર્તિક મહિનામાં તો તુલસીજી ના શાલિગ્રામ સાથે વિવાહ પણ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને કચોરી અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પ્રબોધિની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ માહાત્મ્ય છે, તે દિવસે સતીવૃંદા અને જાલંધર ની કથાના અનુસંધાનમાં જાલંધરના મૃત્યુ પછી વૃંદા તુલસી રૂપે થઈને જીવ પ્રણિમાત્રના નિયંતાની સાથે મનોમન વરણી કરી. ભગવાન પોતે શાલીગ્રામ થયા અને એમની સાથે પ્રબોધિની એકાદશીના દિવસે તુલસીએ લગ્ન કર્યાં. વૃંદાના અંતરમાં બોધ થયો અને વિશેષ પ્રબોધ થયો અને પ્રબોધમાં સ્વંય પરમાત્મા તેની સાધના અને તપને કારણે તેની સંગાથે રહ્યા.

પુષ્ટિમાર્ગીય મંદિરોમાં તે દિવસે પ્રભુ સાથે તુલસીજી પરણાવી કન્યાદાનનો ને પ્રભુના લગ્નનો આનંદ લેવા તુલસી વિવાહનો મનોરથ યોજવામાં આવે છે. 

પ્રબોધિની એકાદશીની સારસ્વત કલ્પની ભાવના એ છે કે રસાત્મક સ્વરૂપની કિશોર અવસ્થામાં તે રાત્રિએ 'અધરં મધુરં વદનં મધુરં, ગમનં મધુરં, નૃત્યમં મધુરં' એ મધુર ભાવપ્રગટ કરનાર કનૈયાએ પોતાના વિરાટ ધર્માકાર્યરૂપ સ્વરૂપની રહસ્યમય ગૂઢ લીલાનો અનુભવ શ્રીસ્વામિનીજી અને વ્રજભક્તોને એક સાથે કરાવ્યો છે.

પ્રબોધિની રાત્રિએ પ્રભુએ શ્રીસ્વામિનીજીના અંગ પ્રત્યંગનું પાન ચપળ નેત્રોથી કરી અનેકવિધ મધુરવચનોને વાણીચાતુર્યથી શ્રીસ્વામિનીજીના ભાવને જાગ્રત કરી એક ક્ષણમાં અનેક વખત શ્રીસ્વામિનીજીના પ્રત્યંગ પર ફરી વળે છે. તે જ સમયે ભક્તજનોના મનને હરી તેમના ભાવને પણ જાગ્રત કરતા હતા. અને અનેક ભગવદભક્તોને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવતા હતા.

આ રીતે પ્રબોધિની એકાદશીની પાછળ સારસ્વત કલ્પની પ્રભુની શ્રીસ્વામિનીજી અને ભગવદ્દભક્તો સાથેની ગૂઢ રહસ્યલીલાની ભાવના છે.

મર્યાદામાર્ગીય ભાવના:

સ્કંદ પુરાણ અનુસાર શંખાસુરને મારી શ્રી હરિએ ક્ષીરસાગરમાં શયન કર્યું અને ચાર માસ પછી દેવપ્રબોધિની એકાદશીએ જાગ્યા હતા. રાત્રે શેરડીના મંડપમાં તુલસીજી સાથે પ્રભુનો વિવાહ થાય છે. મર્યાદા ભક્તો તુલસી વિવાહના મનોરથી બનીને સ્વ-અધિકાર અનુસાર ભગવદ દર્શન અને સેવાનો અલભ્ય આનંદ પણ માણે છે. 

દેવ પ્રબોધિની કે પદ

રાગ : – કાન્હરો

દેવ જગાવત જશોદા મૈયા |

ફલ ફૂલન સો પૂજી કહત હે , ચિરંજીવો મેરો કુંવર કન્હૈયા ||૧ ||

તુમારે જાગે કુશળ ગોકુલ કી ,બાઢે દૂધ ઔર ગૈયા |

‘ગોવિંદ ‘ પ્રભુ બલરામ કૃષ્ણ કી , લાગો મોહિ બલૈયા ||૨||

પ્રબોધિની કે પદ

રાગ :- કાન્હરો

આજ પ્રબોધિની શુભ દિન નીકો ,અમલ પક્ષ  એકાદશી આઈ |

બહુત ઇખ કુંજન રચી કે સખી , ચહુંઔર દીપકન સુહાઈ ||૧ ||

ઘર ઘર ગોપી ચોક પુરત સબ , બંદનવાર બંધાઈ |

સિંઘાસન ગાડી તકિયા ધરી ,કરી ઉત્થાપન ગોકુલ રાઈ ||૨||

હરે હરે સબ મેવા ધરીકે , સામગ્રી સબ ભોગ  લગાઈ |

ચાર જામ જાગરણ જાગ નીશી ,જાગે દેવ ગોવર્ધન રાઈ ||૩||

મંગલ આરતી કરી વ્રજ સુંદરી , પ્રેમ મગન આનંદ ન સમાઈ |

‘રસિક ‘ પ્રભુ  મંગલ નિધિ આનંદ , મંગલ રૂપ  રાધા સુખદાઈ ||૪||

 

 

 

Tuesday 10 November 2020

રમા એકાદશી: આસો વદ / કૃષ્ણ પક્ષ



રમા એકાદશી: આસો વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:આસોના કૃષ્‍ણપક્ષમાં રમા નામની સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે.

 

પ્રાચીન કાળમાં મૂંચકૂંદ નામના પ્રખ્‍યાત રાજા થઇ ગયા કે જે વિષ્‍ણુના પરમ ભકત અને સત્‍ય પ્રતિજ્ઞ હતા. પોતાના રાજય પર નિષ્‍કંટક રાજય કરનાર એ રાજાના રાજયમાં નદીઓમાં શ્રેષ્‍ડ એવી “ચંદ્રભાગા” પુત્રીના રુપે ઉત્‍પન્‍ન થઇ. રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્‍ન કરાવી દીધા એક વખત શોભન દસમના દિવસે સસરાના ઘેર આવ્‍યા. અને એજ દિવસે સમગ્ર નગરમાં પહેલાની જેમ ઢંઢેરો પીટવામાં આવ્‍યો કે “એકાદશીના દિવસે કોઇ પણ ભોજન ન કરે !” આ સાંભળીને શોભને પોતાની પ્રિય પત્‍ની ચંદ્રભાગાને કહ્યું : “પ્રિયે ! હવે આ સમયે મારે શું કરવું જોઇએ એ વિશે કહે.”

 

ચંદ્રભાગા બોલીઃ “સ્‍વામી ! મારા પિતાને ઘેર એકાદશીના દિવસે મનુષ્‍યતો શું કોઇ પાળેલા પશું વગેરે પણ ભોજન નથી કરી શકતાં, પ્રાણનાથ ! જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે. આ પ્રમાણે મને મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્દઢ કરો.” શોભને કહ્યું : “પ્રિયે ! તારું કહેવું સત્‍ય છે. હું પણ આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે, એવું જ થશે.”

 

ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ આ પ્રમાણે દ્દઢ નિશ્ર્ચય કરીને શોભને વ્રતના નિયમનં પાલન કર્યું. પરંતુ સુર્યોદય થતા એમનો પ્રાણાંત થઇ ગયો. રાજા મચકંદે શોમનનો રાજોચિત અગ્નિ સંસ્‍કાર કર્યો. ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરેજ રહેવા લાગી.

 

નૃપશ્રેષ્ડ! બીજી બાજુ શોભન! આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર પર વસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્‍ત થયા. ત્‍યા શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્‍યા. એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિધ્‍ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતાં ફરતાં મંદરાચળ પર્વત પર ગયા ત્‍યાં એમને શોભન જોવા મળ્યા. રાજાના જમાઇ ઓળખીને તેઓ એમની પાસે ગયા. શોભન એ વખતે બ્રાહ્મણ શ્રેષ્‍ઠ સોમ શર્માને આવેલ જોઇને તરત જ આસન પરથી ઊભા થયા અને એમને પ્રણામ કર્યાં. પછી પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્‍ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછયા.

સોમશર્માઅે કહ્યું : રાજન ! ત્‍યાં બધા કુશળ છે. આશ્ર્ચર્ય છે ! આવું સુંદર અને પવિત્ર નગર તો કયાંય કોઇએ પણ નહિ જોયું હોય ! કહો તો ખરા, તમને આ નગર કેવી રીતે મળ્યું ?

 

શોભન બોલ્‍યાઃ બ્રહ્મન ! આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઇ છે. મેં શ્રાધ્‍ધાહિન બની ને આ વ્રત કર્યું હતું આથી હું એવું માનું છું કે આ નગર સ્‍થાઇ નથી, તમે મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃંતાંત કહેજો.

 

શોભનની વાત સાંભળીને સોમશર્મા મુચકુંદરપૂર ગામમાં ગયા અને ત્‍યાં ચંદ્રભાગાને સમગ્ર વૃંતાંત કહી સંભળાવ્‍યો. સોમશર્મા બોલ્‍યાઉ શુભે ! મે તમારા પતિને જોયા છે. અને ઇન્‍દ્રપુરી જેવા એમના સુંદર નગરનું પણ અવલોકન કર્યું છે. પરંતુ એ નગર અસ્‍થાઇ છે. તમે એને સ્‍થાઇ બનાવો.

 

ચંદ્રભાગાએ કહ્યું : “બ્રહ્મર્ષે ! મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્‍યાં લઇ જાઓ. હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્‍થાઇ બનાવીશ.”ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઇને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્‍યા ઋષિના મંત્રથી શકિત અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્‍ય બની ગયું અને એણે દિવ્‍ય ગતિ પ્રાપ્ત કરી લીધી.

 

ત્‍યાર બાદ એ પોતાના પતિ પાસે ગઇ. શોભને પોતાની પ્રિય પત્‍ની ને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી, ત્‍યારપછી ચંદ્રભાગાએ પોતાનો પ્રિયતમન આ પ્રિય વચનો કહ્યાઃ નાથ ! હું તમને હિતની વાત કરું છું. સાંભળો.જયારે હું આઠ વરસની થઇ ત્‍યારથી આજ સુધી કરેલી એકાદશીથી આ નગર કલ્‍પના અંત સુધી  સ્‍થાઇ રહેશે, અને બધા પ્રકારના ઇચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે.”

 

આ પ્રમાણે રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રુપ, અને દિવ્ય આભુષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખરપર વિહાર કરે છે. રાજન! મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું, આ એકાદશી ચિંતાહરી અને કામધેનુંની જેમ બધા મનોરથો પૂર્ણ કરનારી છે.

 

ભગવાન વિષ્ણુને કેળા અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં દિવાળીની વધાઈ આસો વદ એકાદશીએ બેસે, એમ કહેવાય છે કે 'રમા' નામની વ્રજબાળાએ નંદાલયમાં જશોદાજી ને દિવાળીની વધાઈ આપી હતી. આ એકાદશી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ કરવી જોઈએ.

મર્યાદામાર્ગીય ભાવના:

બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર મુચકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગા મૃત્યુ પછી પૂણ્ય પ્રતાપે રાજા સત્યજિતને ત્યાં સત્યભામા નામે રાજકન્યા રૂપે જન્મી, જેના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયા. એક વખત પોતાના જન્મ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાસે સ્વર્ગના પારિજાત વૃક્ષ અને તેના નાજુક પુષ્પોની માંગણી કરી.

ભગવાન શ્રી કૃષ્ણે સ્વર્ગના રાજા ઈન્દ્ર સાથે યુદ્ધ કરી સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવીને આંગણામાં રોપ્યું તે દિવસ હતો આસો વદ એકાદશીનો આથી તેને ભામા - એટલે રમા એકાદશી કહેવાય છે.

આરતી:

જય જય રમા એકાદશી,જય જય રમા એકાદશી

આસો મહિનો ગાથા,કૃષ્ણ પક્ષે થાયે કથા ,

શોભન પત્ની રમા થી નામ પડ્યું તારું એથી

એકાદશી છે તેથી ……………………………………………….

બ્રમ હત્યા પાપ જાયે,સર્વ સુખી થાયે ,

તારી આરતી ગાયે ……………………………………………….

વ્રત રમા એવું ઉજળે,ગામ આખું જે કોઈ ગજવે

તેની પર નાવ થશે,સમૃદ્ધી છલકાશે ગજવે …………………..