Thursday 16 July 2020

કામિકા એકાદશી



કામિકા એકાદશી: અષાઢ વદ / કૃષ્ણ પક્ષ
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, ભગવાન શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ રાજન! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇછું છું, કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મન કહો!”   બ્રહ્માજીએ  કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છા થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષ માં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઇએ.

ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુર્નજન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનુ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, શ્રી વિષ્ણુ જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે એટલા લાલમણીપ મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને સંતુષ્ટ નથી થતા. એ જાતકને પૂજનથી જે ફળ મળે છે, એ ઘણું દુર્લભ પૂણ્ય છે, એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે. જે સમુદ્ર અને વન સહિત સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

માટે પાપભીરુ મનુષ્યે યથાશકિત, પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્‍ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રીકેશવનું પૂજન કરી લીધુ છે એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યો એ આ એકાદશી નું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્યે શ્રધ્ધા સાથે આનું માહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્ણુલોકમાં જાય છે.

એક ગામમાં એક વીર ક્ષત્રિય રહેતો હતો. એક દિવસે કોઈ કારણસર તેની એક બ્રાહ્મણ સાથે મારામારી થઈ અને એમાં તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. જેથી પોતાના હાથે મૃત્યુ પામેલા તે બ્રાહ્મણનું ક્રિયાકર્મ તે ક્ષત્રિય કરવા માગતો હતો. પરંતુ પંડિતોએ તેને ક્રિયામાં સામેલ થવાની ના પાડી દીધી અને બ્રાહ્મણોએ કહ્યું કે તમારી પર બ્રહ્મ હત્યાનો દોષ છે. જેથી પહેલાં તમે આ પાપનું પ્રાયશ્ચિત કરો અને આ પાપથી મુક્ત થઈ જાઓ. ત્યારે અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીશું.

જેથી ક્ષત્રિયએ પૂછ્યું કે આ પાપથી મુક્ત થવાનો ઉપાય શું છે? ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીએ ભક્તિભાવથી ભગવાન શ્રીવિષ્ણુનું વ્રત અને પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આ પાપથી મુક્તિ મળી જશે. પંડિતો દ્વારા બતાવેલી રીતથી વ્રત રાખવાથી રાતે ભગવાન વિષ્ણુએ ક્ષત્રિયને દર્શન આપી કહ્યું તને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી ગઈ. આ રીતે કામિકા એકાદશી વ્રત કરવાથી ક્ષત્રિયને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ હતી.

ભગવાન વિષ્ણુને ઘઉં અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:
વર્ષાઋતુમાં વિરહી વ્રજાંગનાઓ (કામિકા) વ્યાકુળ થઇ ગયાં, ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા ઝરી રહી હતી. ચારે બાજુ વીજળી ચમકીને મેઘ ગર્જનાઓથી વ્રજાંગનાઓના અંગ ધ્રુજી રહ્યા હતા, નાયનોમાંથી વહેતી અશ્રુ ધારા સાથે વિરહથી વ્યાકુળ થઇ કુંડમાં રાહ જોઈને કહે છે, હે નાથ ! હે પ્રિયતમ પ્રભુ ! હવે તો ઝટ પધારો ! કામિકાઓ રૂપે અમો આપની રાહ જોતાં ઉભા રહ્યા છીએ !

મર્યાદામાર્ગીય ભાવના:
બ્રહ્મવૈવર્ત પુરાણમાં કામિકા એકાદશીનું માહાત્મ્ય વર્ણવેલ છે. નારદજીના પ્રશ્નથી બ્રહ્માજીએ આ વ્રતનો મહિમા કહ્યો હતો.આ વ્રત કરવાથી ગૌહત્યા, બ્રહ્મ-હત્યા વગેરેમાંથી મુક્તિ મળે છે. જીવના વિકારો, દુસ્તવાસનાઓ વગેરેનો ક્ષય થઇ પવિત્ર બને છે.

No comments:

Post a Comment