Sunday 19 July 2020

દેવશયની કે દેવપોઢી એકાદશી


દેવશયની, દેવપોઢી કે પદ્મા એકાદશી - અષાઢ સુદ / શુકલ પક્ષ:

દેવશયની કે દેવપોઢી એકાદશી કેમ કહેવાય છે:

આ દિવસથી ભગવાન વિષ્ણુનું એક સ્‍વરુપ ચાર માસ સુધી પાતાળમાં બલિ-રાજાના દ્વાર પર નિવાસ કરે છે, અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્‍યા પર ત્‍યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની સુદ / શુક્લ પક્ષની એકાદશી ન આવે.

એક એવી પણ કથા છે શંખાસુર નામના રાક્ષસનો વધ કરતાં પડેલા શ્રમને કારણે પોતાનો થાક ઉતારવા ભગવાન વિષ્ણુ પાતાળમાં ચાર માસ પોઢી ગયા.

સામાન્ય રીતે આ સમય વર્ષા કાળનો હોય છે એ જમાનામાં યાત્રામાં અન્ય સ્થળે વિહાર કરવાની સુવિધાઓ નો તી, આજે પણ એટલી જ કઠીન છે. એટલે કે આ સમય દરમ્યાન સાધુ-સંતો ભગવંતો એક જ સ્થાને સ્થિર રહે છે. મતલબ જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બનીને રહે છે. જેને ચાતુર્માસ કહેવાય છે. સાધુ-સંતો જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બની જઇ એક સ્થળે મુકામ કરે છે તો વૈષ્ણવો એવું માને છે કે તમામ તીર્થો આ સમય દરમ્યાન વ્રજમાં પધારી નિવાસ કરે છે. આમ ચોમાસામાં ચાતુર્માસ દરમ્યાન વ્રજ સિવાયની બાકીની તમામ યાત્રાઓ સામાન્યત બંધ રહે છે. આથી દેવરાયની એકાદશીએ મથુરા-વૃંદાવનની સમ્મિલિન પરિક્રમા યોજે છે આ પરિક્રમાનું માહાત્મય વારાહ પુરાણમાં સરસ આપ્યું છે.

આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આ દિવસે શયન-વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ.

સ્કંદ પુરાણ કહે છે, ચાતુર્માસ આવતા દરેક દેવો તીર્થો ભગવાન વિષ્ણુના ચરણમાં શરણ લે છે. અત: ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે.

આ ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ જળમાં શયન કરે છે, મતલબ જળ એજ જીવન છે. આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન સ્નાનનું પણ અધિક મહત્વ છે.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રીકૃષ્ણે કહ્યું, "હે રાજન્! બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું.

એકાદશી ની કથા:

 

સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડયો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા-બાપનું હૃદય દ્રવી ઊઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં. અનાજનાં સાંસા પડવા માંડયા.

રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણાદેવી જરૂર રુઠયાં હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.

આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ અગિયારશે દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે, "હે રાજન્! આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ.

માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠયા! સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં અષાઢ સુદ એકાદશીએ વ્રજનારીઓના વિરહભાવની ભાવના છે; વ્રજનારીઓ વ્યાકુળ થઇ ગઈ હતી, કારણકે નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુઃખિયારો થઇ પડયો। પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે, પદ્મા સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગ્રત થાય છે. ' હું શું જાણું વ્હાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું'. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષાઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલા ભાવનું સ્મરણ કરે છે.

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

દ્રાક્ષ

 

ફળ પ્રાપ્તિ:                 

આ એકાદશીનું ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

 

આરતી:

જય દેવશયની એકાદશી જય જય દેવશયની એકાદશી

અષાઢ માસ  માં ફળતી ,શુકલ પક્ષ માં દુઃખ હરતી

માધાંતા રાજ ને તર્યો ,દયા -કૃપા ઝરતી …………………….જય જય પદ્મા એકાદશી

કોઢી રાજા ને સ્ન્વાર્યો ,પાપ દોષ થી ઉદ્ધાર્યો

કુબેર ના શાપ થી બચાવ્યો ,શરણ તારે આવ્યો ……………..જય જય એકાદશી

વ્રત દેવ શયની ન્યારું ,દેવો માનવો ને છે પ્યારું

ફળે અંતર ધરતા એને, થાય સઘળે સારુ ………………………જય જય એકાદશી

No comments:

Post a Comment