Monday 1 June 2020

નિર્જળા, પાંડવ કે ભીમ એકાદશી




નિર્જળા, પાંડવ કે ભીમ એકાદશી - જેઠ સુદ / શુક્લ પક્ષ:

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે,”શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન! એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે. કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ-વેદાંતના વિદ્વાન છે.”

એકાદશી ની કથા:

 

ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યાઃ “બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણો ને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. રાજન ! જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.”

આ સાંભળીને ભીમસેન બોલ્‍યાઃ “પરમ પિતામહ ! મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુન્‍તી, દ્રોપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે કયારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એજ કહે છે,  “ભીમસેન ! તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો.” પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છુ કે મારાથી ભૂખ સહન થતી નથી.”ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા: “જો તમે સ્‍વર્ગલોકની પ્રાપ્તી  ઈછતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું.”

 

ભીમસેન બોલ્યાઃ “પણ પિતામહ ! હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું ?” મારા ઉદરમાં “વૃક” નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જયારે હું ખૂબ વધારે ખાઉ છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુની ! હુ બહું બહું તો વર્ષ ભરમાં ફકત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્‍તી થાય અને જે વ્રત કરવાથી મારું કલ્‍યાણ  થાય એવું કોઇ એક વ્રત મને કહો. હું એનું પાલન જરુર કરીશ.”

 

વ્‍યાસજીએ કહ્યું : “ભીમ ! જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્‍નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફકત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઇ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું. અન્યથા વ્રતનો ભંગ થઇ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્‍ય જળનો ત્‍યાગ કરે તો આ વ્રત પુર્ણ થાય છે.

ત્યાર બાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સૂવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જિતેન્‍દ્રીય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે, એ બધી નું ફળ મનુષ્‍ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે “જો માનવ બધુ છોડીને એક  માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોપોથી છૂટી જાય છે.”

એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ-પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સ્વભાવ વાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઇ જાય છે.

માટે નિર્જળ એકાદશીના દિવસે યત્‍નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ ! જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઇ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પૂણ્યનો ભાગી બને છે.”

આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરુ કરી દીધું ત્‍યારથી એ પાંડવ, નિર્જળા કે ભીમ એકાદશી નામથી વિખ્યાત થઇ.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

જળ પણ ન લેવાય તેથી તેને નિર્જળા એકાદશી કહે છે. ભીમે જળ લીધા વિના આ એકાદશી કરેલી, પરંતુ શ્રી કૃષ્ણના કહેવાથી શ્રી યમુનાજીનું પયપાન કરેલું. ચૂસ્ત વૈષ્ણવો પણ શ્રી યમુનાજીનું પયપાન કરી એકાદશીનું વ્રત કરી શકે છે.

 

મર્યાદામાર્ગીય ભાવના:

પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનું માહાત્મ્ય કહેલું છે, જો તમે બધી એકાદશીનું વ્રત ન કરી શકો તો આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરીને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

 

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

કેરી

 

ફળ પ્રાપ્તિ: 

 

આ એકાદશીનું વ્રત કરનારના સુમેરૂ કે ચંદ્રાલય પર્વત જેવડા મહા પાપો પણ નષ્‍ટ થઇ જાય છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી અમાસના દિવસે સૂર્યગ્રહણ હોય અને વ્રત કરી પિતૃઓને અંજલિ આપવાથી જે ફળ મળે છે તે, અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

 

આરતી:

જય નિર્જળા એકાદશી ,જય જય નિર્જળા એકાદશી

જેઠ માસ માં ન્યારી ,શુકલ પક્ષ માં છે પ્યારી ,

પાંડવો ની હિતકારી ,સ્વર્ગ ની અધિકારી …………જય નિર્જળા એકાદશી .

વિષ્ણુ પૂજા સૌ કરતા ,ગૌદાન પણ ફળતા ,

કથા જે કોઈ સાંભળે,પુણ્ય કરોડો મળતા ……………જય નિર્જળા એકાદશી .

જીવન સંવારી દીધું ,એવું કામ નિર્જળા કીધું ,

ઊંચું પદ અપાવ્યું અમને ,દુખડું તે હરિ લીધું ………..જય નિર્જળા એકાદશી .

No comments:

Post a Comment