Sunday 17 May 2020

અપરા કે અચલા એકાદશી

અપરા કે અચલા એકાદશી - વૈશાખ વદ / કૃષ્ણ પક્ષ:

 

જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી નું વ્રત પાપ રૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ. વ્રત બધા વ્રતો માં શ્રેષ્ઠ છે. અપરા એકાદશી નો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદ ની પ્રાપ્તિ થાય છે.

 

એકાદશી ની કથા:

 

ભગવાન વિષ્ણુની કૃપા અપાવનારા વ્રતના મહિમાનું પુરાણોમાં પણ વર્ણન જોવા મળે છે. પદ્મપુરાણ મુજબ અપરા એકાદશીનું વ્રત કરવાથી માણસે પ્રેત યોનીમાં જઈને દુઃખ નથી ભોગવવા પડતા. પ્રેત યોની માંથી મુક્તિ અપાવનારી એકાદશીનું નામ અચલા પણ છે.

 

વ્રત સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જે મુજબ છે. પ્રાચીન સમયમાં મહીધ્વજ નામના એક ધર્માત્મા રાજા હતા, જેનો નાનો ભાઈ વજ્રધ્વજ પાપી અને અધર્મી હતો. તેણે એક રાત્રે તેના મોટા ભાઈ મહીધ્વજની હત્યા કર નાખી. ત્યાર બાદ તેણે મહીધ્વજના મૃત શરીરને જંગલમાં લઇ જઈને પીપળાના ઝાડ નીચે દાટી દીધું. અકાળે મૃત્યુ થવાને કારણે ધર્માત્મા રાજાએ પણ પ્રેત યોનીમાં જવું પડ્યું. રાજા પ્રેતના રૂપમાં પીપળામાં રહેવા લાગ્યા અને તે રસ્તે આવવા જવા વાળાને હેરાન કરવા લાગ્યા.

 

એક દિવસ સદનસીબે તે રસ્તેથી ધોમ્ય નામના ઋષિ પસાર થયા. ઋષીએ જયારે ભૂતને જોયું તો પોતાની તપની શક્તિથી તમામ પરિસ્થિતિ જાણી લીધી. ઋષીએ રાજાને પ્રેત યોની માંથી મુક્તિ અપાવવાનો નિર્ણય કર્યો, અને પ્રેતને પીપળાના ઝાડ ઉપરથી ઉતારી એને પરલોક વિદ્યાનું જ્ઞાન આપ્યું.

 

સંયોગથી તે સમયે વૈશાખ મહિનાની એકાદશીની તિથી પણ હતી. ઋષીએ અપરા એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીનું પુણ્ય રાજાને આપી દીધું. પુણ્યથી રાજા પ્રેત યોની માંથી મુક્ત થઇ ગયા અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં જતા રહ્યા.

 

 

 “બ્રહ્મ હત્યા કરનારો, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક, તથા પર સ્ત્રી ની સાથે ભોગ કરનાર પુરૂષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્રય પાપ રહિત થઇ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે. માપતોલમાં દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગપતરી કરે છે, અને કુજ્ઞનિતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે, જે શિષ્ય ગુરુ પાસે થી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે, જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્ર થી ભાગી જાય તો તેઓ, બધા નરક કરનારા પ્રાણીઓ છે. પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી પણ પાપ રહિત થઇ જાય છે. અને સદગતિને પ્રાપ્ થાય છે.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અપરા માં   - એટલે આસુરી અને પરા - એટલે પોતાની, પોતાની અને પારકી સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરવા પ્રભુએ મનમાં વિચાર કરી દૈવી અને આસુરી એમ બે સૃષ્ટિ પ્રગટ કરી. એક સૃષ્ટિમાં ભક્ત રુપી નખથી કેશ સુધી સુંદર એવી સુંદરી છે અને બીજી સૃષ્ટિમાં માયા રુપી દાસી છે જે ભજન ધર્મથી હીન છે.

 

દૈવી આસુરી બે ઉપજાવી, પ્રભુ મન કરી વિચાર, તેમાં પહેલી નખશિખ સુંદરી, શ્રીહરિને મનભાવી,

બીજી કટાક્ષે જે જન ઉપના, માયામાં થયા લીન, કર્મ જડ આસુર અન્ય ભજન ધર્મથી હીન.

 

પ્રભુને પહેલી પ્રેમલક્ષણા સુંદરી ગમે છે, અપરા એકાદશીનો ભાવ છે.

 

મર્યાદામાર્ગીય ભાવના:

બ્રહ્માંડ પુરાણમાં અપરા એકાદશી મહાપાપોનો નાશ કરી અનંત ફળ આપનારી કહી છે.

 

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

કાકડી

 

ફળ પ્રાપ્તિ: 

આ એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોથી મુકત થઇ શ્રી કૃષ્ણલોકમાં પ્રતિષ્ઠિત થાય છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે.

 

 

આરતી:

જય અપરા એકાદશી  જય જય અપરા એકાદશી

વૈશાખ માસે બિરાજે , કૃષ્ણ પક્ષ માં તું ગાજે ,

બ્રહ્મહત્યા નાશ થાયે , ભુત યોની જાયે …………….જય અપરા એકાદશી .

શિષ્યો ને લાભકારી ,સૌને સુખ આપનારી

સ્વર્ણદાન સમ પુણ્ય ફલ તું દેનારી ………………જય અપરા એકાદશી .

વ્રત અપરા ફળી ગયું ,સુખ અનોખું મળી ગયું ,

ફલ મળ્યા જીવન કેરા ,નયન મારું ઝરી ગયું ………જય અપરા એકાદશી .

 

No comments:

Post a Comment