Thursday 6 May 2021

વરૂથિની એકાદશી : ચૈત્ર વદ / કૃષ્ણ પક્ષ


વરૂથિની એકાદશી : ચૈત્ર વદ / કૃષ્ણ પક્ષ 

પુષ્ટિ સંપ્રદાય માં એકાદશી શ્રી વલ્લભાચાર્ય જયંતી / શ્રી વલ્લભાચાર્ય જી નો પ્રાગટ્યોત્સવ તરીકે ઉજવવામાં આવ છે

પાપ અને કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે વરૂથિની એકાદશીએ વરાહ ભગવાનની પૂજા કરવામાં આવે છે

વ્રતનું ફળ: આ એકાદશી કરનાર મનુષ્યને સદાય સુખની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્‍યા કર્યા પછી મનુષ્‍યને પ્રાપ્‍ત થાય છે. વરૂથિની એકાદશીનું વ્રત શારીરિક ઘાવથી બચવા અને બાળકોના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે.

યધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.”શ્રી કૃષ્‍ણ બોલ્‍યા : “રાજન ! ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં “વરૂથિની” એકાદશી આવે છે તે ઇન્‍દ્ર લોક અને પરલોકમાં સૌભાગ્‍ય પ્રદાન કરનારી છે.”

 

વરુથીની એકાદશી વ્રત કથા - પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. 

એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યુ. રાજા ગભરાયો નહી અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જગંલમાં લઈ ગયુ. હવે રાજા ગભરાય ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો.

રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચુક્યો હતો. જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા હે વત્સ દુ:ખી ના થઈશ. તુ મથુરા જા અને ત્યાં વરુથિની એકાદશીનુ વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તુ ફરીથી સુદ્દઢ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વ જન્મનો અપરાધ હતો.

ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યુ જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો.

 

ભગવાન વિષ્ણુને સાકરટેટી અવશ્ય ધરાવવાં.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

ચૈત્ર વદ વરુથિની એકાદશીનાં દિવસે પુષ્ટિમાર્ગ પ્રગટાવનાર શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે. સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે, 'મા' નો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને 'ધવ' એટલે લક્ષ્મીના પતિ. પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થાય તો દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઇ શકે.

વરુથિનીનો અર્થ વરદાન આપનાર. દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર આ વરુથિની એકાદશી છે. 

મર્યાદામાર્ગીય ભાવના:

વિષ્ણુ પુરાણમાં ચૈત્ર વદની વરુથિની એકાદશીના માહાત્મ્યમાં વિદ્યાદાન અને ગૌદાનને સર્વ શ્રેષ્ઠ દાન કહેલા છે.

આરતી:

જય વરુથિની એકાદશી ,જય જય વરુથિની એકાદશી

ચૈત્ર મહિને આવે ,કૃષ્ણ પક્ષ માં વ્રત કરાવે ,

સૌભાગ્ય આપનારી ,ફળ ની પ્રાપ્તિ લાવે .જય વરુથિની એકાદશી .

સહસ્ત્ર વર્ષ ની તપસ્યા ,એક ઉપવાસ મા વસ્યા ,

સ્વર્ગ ની પ્રાપ્તિ થાયે ,સુખ માં તમે હસ્યા .જય વરુથિની એકાદશી .

વ્રત એકાદશી ફળ્યા સૌને મા આમલા મળ્યા સૌને

હરખાયા સહુ જનો જુઓ ,હ્રદયે એના ધાર્યા સૌને .જય વરુથિની એકાદશી .

 


No comments:

Post a Comment