Saturday 23 January 2021

પુત્રદા એકાદશી - પોષ સુદ / શુક્લ પક્ષ:


પુત્રદા એકાદશી - પોષ સુદ / શુક્લ પક્ષ:

 

એકાદશી ની કથા:

પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્‍ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી  ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે. આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા.   

 

એક દિવસ  રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્‍યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્‍યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્‍યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.

 

આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્‍યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્‍યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્‍યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્‍યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.

 

સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્‍યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્‍યારે મુનિઓ બોલ્‍યાઃ રાજન ! અમે તમારા પર પ્રસન્‍ન છીએ. રાજા બોલ્‍યોઃ આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.

 

મુનિઓ બોલ્‍યાઃ રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્‍નાન માટે આવ્‍યા છીએ. આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્‍યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્‍ન હો તો મને પુત્ર આપો.

 

મુનિ બોલ્‍યાઃ રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્‍યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્‍યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્‍તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્‍યા. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્‍યાં તેજસ્‍વી પુત્રની પ્રાપ્‍તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્‍ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્‍યો.

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અષ્ટસખા કુંભનદાસ અને તેમના ધર્મ પત્ની, શ્રી મહાપ્રભુજીને શરણે ગયા, અને શ્રી મહાપ્રભુજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું, આ દિવસ પોષ સુદ એકાદશી નો હતો. શ્રી મહાપ્રભુજીના વરદાનથી કુંભનદાસ ને સાત મહાન ભગવદ્દ ભક્ત પુત્રો થયા.

આમ શ્રીનાથજી બાવાના કૃપાપત્ર અષ્ટસખા કુંભનદાસના જીવન પ્રસંગ સાથે આ એકાદશીનું નામ જોડાયેલું છે અને તેની પુષ્ટિમાર્ગીય ભાવના પણ ગૂઢ છે.

મર્યાદામાર્ગીય ભાવના:

'પુમ' નામના નરકમાંથી મુક્ત કરે તે પુત્ર - આ વચન અનુસાર આ એકાદશી વ્રતથી પુત્રપ્રાપ્તિ થઈ મનુષ્યની સદ્દગતિ થાય છે. સર્વ સંતાપો દૂર કરી સંતાનસુખ આપનાર આ વ્રત હોઈ 'પુત્રદા એકાદશી' નામે પ્રસિદ્ધ છે.

આરતી:

જય જય પુત્રદા માતા ,જય જય પુત્રદા માતા

પોષ માસ માં મળતી ,શુકલ પક્ષમાં ફળતી ……..મા (૨)

પ્રભુ નારાયણ ની પૂજા ,સર્વે દુઃખો હરતી …….જય જય પુત્રદા માતા

પુત્ર ને પ્રાપ્ત કરાવનારી ,પુણ્ય ને તું પ્રગટાવનારી ……મા (૨)

સુકેતુમાન ને પુત્ર ,દાન એવું કરતી …………..જય જય પુત્રદા માતા

જે કોઈ સુણે મહિમા કથા ,એની જાએ સૌ વ્યથા ………મા (૨)

રાજા ને કીધાં કૃતજ્ઞ ,એવી તારી ગાથા ……….જય જય પુત્રદા માતા 

No comments:

Post a Comment