Friday 14 August 2020

અજા એકાદશી

 

અનદા અથવા અજા એકાદશી: શ્રાવણ વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “નૃપશ્રેષ્‍ઠ! શ્રાવણ મહિના ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અનદા છે. એ બધા પાપોનો નાશ કરનારી ગણાઇ છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે, એના બધા પાપો નાશ પામે છે.

પૂર્વકાળમાં હરિશ્ર્ચંદ્ર નામના પ્રખ્‍યાત રાજા થઇ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા. કોઈ અજ્ઞાત કારણથી અને પોતાના વચનનું પાલન કરતાં એમને રાજય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા. પછી પોતાને પણ વેચ્યા. પુણ્યાત્મા હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી. સ્મશાનમાં મડદા પરનું કફન તેને મહેનતાણામાં મળતું.

આમ થવા છતાં પણ નૃપશ્રેષ્‍ઠ હરિશ્ર્ચંદ્ર સત્‍યથી વિચલિત ન થયા.
આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વિતી ગયા. એથી રાજાને ઘણી ચીંતા થઇ. તેઓ અત્‍યંત દુઃખી થઇને વિચારવા લાગ્‍યા. 
શુ કરું? કયાં જાઉ ? કેવી રીતે મારો ઉધ્‍ધાર થશે ? આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા.

રાજાને શોકાતુર જાણીને કોઇ મુનિ એમની પાસે આવ્‍યા તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્‍ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઇને નૃપશ્રેષ્‍ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યાં, અને બન્ને હાથ જોડીને મહર્ષિ ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી.

રાજાની વાત સાંભળીને મહર્ષિ ગૌતમે કહ્યું. “રાજન! શ્રાવણ માસમાં કૃષ્‍ણ પક્ષમાં અત્‍યંત કલ્‍યાણકારી અનદા નામની એકાદશી આવી રહી છે. એ પૂણ્ય પ્રદાન કરનારી છે. એનું વ્રત કરો, એનાથી પાપનો અંત થશે તમારા સદ્દભાગ્‍યે આજથી સાતમાં દિવસે જ એકાદશી છે, એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો, આના પરિણામે તારા બધા પાપો દૂર થશે.” આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઇ ગયાં.

મુનિની વાત સાંભળીને રાજાએ. ઉત્તમ વ્રતનું અનુષ્‍ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુકત થઇ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગી ઊઠયા. દેવલોકમાંથી ફુલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજય પ્રાપ્ત થયું. અને અંતે તેઓ પૂરજન અને પરિજન સાથે સ્‍વર્ગલોકને પામ્યાં.

જે આ એકાદશી વ્રત કરે છે એ બધા પાપોથી મુકત થઇને સ્‍વર્ગલોકમાં જાય છે. આને વાંચવા અને સાંભળવાથી અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્‍ત થાય છે.

 ભગવાન વિષ્ણુને ખારેક અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રીમદ્ ભાગવતમાં અજામિલની ચરિત્ર કથામાં જણાવ્યા પ્રમાણે તે ઘણો પાપી હતો, પરંતું તેના અંતિમ સમયે પોતાના પુત્રના નામોચ્ચારણ નિમિત્તે 'નારાયણ' બોલ્યો હતો તેથી તરત જ પ્રભુએ અનુગ્રહ કરી તેનો ઉદ્ધાર કર્યો, આ દિવસ શ્રાવણ વદ એકાદશીનો હતો આથી આ એકાદશી 'અજા એકાદશી' કહેવામાં આવે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

વ્યાસમુનિએ બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે શ્રાવણ વાળ એકાદશી નું વ્રત લોકોનું પરમ કલ્યાણ કરનાર સુખ સમૃદ્ધિ તથા,અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર આપનાર છે.

 


No comments:

Post a Comment