Thursday 14 July 2016

અષાઢી / દેવશયની / દેવપોઢી એકાદશી



અષાઢી / દેવશયની / દેવપોઢી એકાદશી


પ્રત્યેક જીવમાં સત્વ, રજ, અને તમો ગુણ સમય પ્રમાણે બદલાય છે, સત્વ ગુણ શુક્લ પક્ષની એકાદશી ને દિવસે સૌથી વધારે હોયછે તેથી આ દિવસે ધાર્મિક કાર્યનું ફળ સૌથી વધારે મળેછે. આમ પ્રત્યેક એકાદશી નું મહત્વછે, એમાં અમુક એકાદશી નું વિશેષ મહત્વછે. પદ્મ પુરાણ અનુસાર જેમાંની એક અષાઢ સુદ એકાદશી ને અષાઢી / દેવશયની / દેવપોઢી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વિષ્ણુ ભગવાન ના અનુયાયી વૈષ્ણવો માટે આ દિવસ નું પૌરાણિક કાળ થી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ની પૂજા તથા જાગરણ નું એક વિશેષ મહત્વ છે, અને ઉપવાસ રાખેછે.
વૈષ્ણવો ની માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુ આ દિવસે ક્ષીરસાગર માં બળી રાજા ના દ્વારે પાતાળ લોક માં શેષ નાગ ની શૈયા પર નિંદ્રાધિન થાય છે. ચાર મહિના પછી કારતક સુદ એકાદશી ને દિવસે ભગવાન જાગૃત થાય છે. આ ચાર માસ ના સમય ને ચતુરમાસ તરીકે ઓળખવામાં આવેછે. ચતુરમાસ દરમ્યાન લગ્ન વિગેરે શુભ કાર્ય કરાતા નથી.
ચતુરમાસ દરમિયાન વૈષ્ણવો વ્રત રાખેછે પોતાની કોઈ પ્રિય ખાદ્ય વસ્તુનો આ માસ દરમ્યાન ત્યાગ કરે છે, ભવિષ્યોતર પુરાણ પ્રમાણે ચતુરમાસ દરમ્યાન શ્રાવણમાં શાક, ભાદરવામાં દહીં, આસોમાં દુધ, કારતકમાં દાળ નો ત્યાગ કરવો જોઈએ જેનો નિયમ અષાઢી એકાદશી ને દિવસે લે છે.
બ્રહ્માજી એ એક વાર નારદજી ને આ એકાદશી નું મહત્વ જણાવ્યું હતું જે મુજબ, રાજા મંદાતા ના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી દુકાળ પડતા ઋષિ અંગિરસ ની સલાહ મુજબ આ એકાદશી નું વ્રત કર્યું અને રાજ્યમાં વર્ષા થઈ. ભવિષ્યોતર પુરાણ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આ કથા યુધિષ્ઠિર ને સમજાવે છે.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં પંઢરપુર સ્થળે આ દિવસે વિઠ્ઠલનાથજી (વિષ્ણુ નું એક સ્વરૂપ) ની પૂજા ઉત્સવ મનાવવામાં આવેછે. ૧૩મી સદીથી સંત નામદેવ, તુકારામ, દયાનેશ્વર, એકનાથ અને પુંડલિકે ભગવાન વિઠ્ઠલનાથજી ની ખ્યાતિ ખૂબ વાધરીછે.

No comments:

Post a Comment