Wednesday 25 November 2020

પ્રબોધિની એકાદશી કે દેવ ઉઠી એકાદશી: કારતક સુદ / શુકલ પક્ષ


પ્રબોધિની એકાદશી કે દેવ ઉઠી એકાદશી: કારતક સુદ / શુકલ પક્ષ

કારતક સુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ જાગે છે. બલીરાજાના દરબારમાં ગયેલા ભગવાન વિષ્ણુ પુન:સ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન ભકતોએ જે જે તપ કર્યા ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા જેથી પ્રબોધિની એકાદશી એ દેવઉઠી એકાદશીના નામે ભક્તોની ભક્તિ દ્વારા સાર્થક બની.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે અર્જુન! હું તને મુકિત આપનારી પ્રબોધિની એકાદશી વિષે નારદજી અને બ્રહ્માજી વચ્‍ચે થયેલો વાર્તા લાપ કહું છું.

એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછયું હે પિતા! પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે ? આપ કૃપા કરીને વિસ્‍તારથી એ બધું મને કહો.

બ્રહ્માજી બોલ્‍યાઃ હે પુત્ર! જે વસ્‍તુ ત્રિલોકમાં મળવી દુષ્‍કર છે, એ વસ્‍તુ ,પણ કારતક માસના શુકલ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્‍મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્‍ટ થઇ જાય છે. હે પુત્ર! જે મનુષ્‍ય શ્રધ્‍ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પૂણ્ય વર્વત સમાન અટલ થઇ જાય છે. અને એમના પિતૃઓ વિષ્‍ણુલોકમાં જાય છે. બ્રહ્મહત્‍યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રી જાગરણ કરવાની નષ્‍ટ થઇ જાય છે.

હે નારદ! મનુષ્‍યે ભગવાનની પ્રસન્‍નતા માટે કારતક માસની પ્રબોધીની એકાદશીનું વ્રત અવશ્‍ય કરવું જોઇએ. જે મનુષ્‍ય એકાદશીનું વ્રત કરે છે. એ ધનવાન, યોગી, તપસ્‍વી તથા ઇન્‍દ્રીયોને જીતનાર બને છે. કારણ કે એકાદશી ભગવાન વિષ્‍ણુની અત્‍યંત પ્રિય છે. આ એકાદશીના દિવસે જે મનુષ્‍ય ભગવાનની પ્રાપ્‍તી માટે દાન, તપ, હોમ, (ભગવાનના નામના જપ પણ પરમ્ યજ્ઞ છે.) વગેરે કરે છે. એમને અક્ષય પૂણ્ય મળે છે.

આથી હે નારદ! તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્‍ણુની પૂજા કરવી જોઇએ.” બ્રહ્માજીએ કહ્યું હે નારદ! આ એકાદશીના દિવસે મનુષ્‍યે બ્રાહ્મ મૂહૂર્તમાં ઉઠીને સંકલ્‍પ કરવો જોઇએ. અને પૂજા કરવી જોઇએ એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્‍ય, કથા-કીર્તન કરતા રાત વિતાવવી જોઇએ. પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્‍પ, અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઇએ. ભગવાનને અર્ધ્ય આપવો જોઇએ. એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડગણું અધિક હોય છે.

જે ગુલાબના પુષ્‍પથી, બકુલ અને અશોકના ફુલોથી, સફેદ અને લાલ કરેણના ફૂલોથી, દુર્વાકાળથી, શમીપત્રથી ભગવાન વિષ્‍ણુની પૂજા કરે છે, એ આવાગમના ચક્રમાંથી છૂટી જાય છે. આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્‍નાન પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઇએ. અને સદાચારી ચરિત્ર બ્રહ્મણોને દિક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઇએ.

જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય, તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઇએ. જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિ પૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે, અને એ અંતે સ્વર્ગમાં જાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર,રાક્ષસના કુલમાં એક કન્યા નો જન્મ થાય છે એનું નામ વૃંદા રાખવામાં આવે છે.વૃંદા બાળપણ થી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા-પિતા એ તેમના વિવાહ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયેલા જાલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જાલંધર વધુ શક્તિશાળી બન્યા હતા.
જાલંધર જયારે પણ યુદ્ધ પર જતો ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી,વૃંદા ની ભક્તિને કારણે કોઈ પણ જાલંધરને મારી શકતું ન હતું.જાલંધરે દેવતાઓ પર યુદ્ધ કર્યું, બધાજ દેવતાઓ જાલંધર ને મારવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. જાલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુ જોડે જાય છે અને જાલંધર નામના રાક્ષસ નો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગે છે. પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જાલંધરનું સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાના પતિવ્રત ધર્મ ને નષ્ટ કર્યું. આનાથી જાલંધરની શક્તિ નબળી પડી અને તે યુદ્ધમાં માર્યો ગયો.જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિષે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો.
ભગવાન વિષ્ણુને પથ્થર ના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદા ને પ્રાર્થના કરી ત્યારે વૃંદા એ જગત ના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઇ લીધો અને પછી પોતે જાલંધરની સાથે સતી થઇ ગઈ પછી એમના શરીર ની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું અને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે આજથી હું તુલસી વગર પ્રસાદ ગ્રહણ નઈ કરું અને આ પથ્થર ને શાલિગ્રામ ના નામે થી તુલસી જી ની સાથે જ પૂજવામાં આવશે.કાર્તિક મહિનામાં તો તુલસીજી ના શાલિગ્રામ સાથે વિવાહ પણ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને કચોરી અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પ્રબોધિની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ માહાત્મ્ય છે, તે દિવસે સતીવૃંદા અને જાલંધર ની કથાના અનુસંધાનમાં જાલંધરના મૃત્યુ પછી વૃંદા તુલસી રૂપે થઈને જીવ પ્રણિમાત્રના નિયંતાની સાથે મનોમન વરણી કરી. ભગવાન પોતે શાલીગ્રામ થયા અને એમની સાથે પ્રબોધિની એકાદશીના દિવસે તુલસીએ લગ્ન કર્યાં. વૃંદાના અંતરમાં બોધ થયો અને વિશેષ પ્રબોધ થયો અને પ્રબોધમાં સ્વંય પરમાત્મા તેની સાધના અને તપને કારણે તેની સંગાથે રહ્યા.

પુષ્ટિમાર્ગીય મંદિરોમાં તે દિવસે પ્રભુ સાથે તુલસીજી પરણાવી કન્યાદાનનો ને પ્રભુના લગ્નનો આનંદ લેવા તુલસી વિવાહનો મનોરથ યોજવામાં આવે છે. 

પ્રબોધિની એકાદશીની સારસ્વત કલ્પની ભાવના એ છે કે રસાત્મક સ્વરૂપની કિશોર અવસ્થામાં તે રાત્રિએ 'અધરં મધુરં વદનં મધુરં, ગમનં મધુરં, નૃત્યમં મધુરં' એ મધુર ભાવપ્રગટ કરનાર કનૈયાએ પોતાના વિરાટ ધર્માકાર્યરૂપ સ્વરૂપની રહસ્યમય ગૂઢ લીલાનો અનુભવ શ્રીસ્વામિનીજી અને વ્રજભક્તોને એક સાથે કરાવ્યો છે.

પ્રબોધિની રાત્રિએ પ્રભુએ શ્રીસ્વામિનીજીના અંગ પ્રત્યંગનું પાન ચપળ નેત્રોથી કરી અનેકવિધ મધુરવચનોને વાણીચાતુર્યથી શ્રીસ્વામિનીજીના ભાવને જાગ્રત કરી એક ક્ષણમાં અનેક વખત શ્રીસ્વામિનીજીના પ્રત્યંગ પર ફરી વળે છે. તે જ સમયે ભક્તજનોના મનને હરી તેમના ભાવને પણ જાગ્રત કરતા હતા. અને અનેક ભગવદભક્તોને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવતા હતા.

આ રીતે પ્રબોધિની એકાદશીની પાછળ સારસ્વત કલ્પની પ્રભુની શ્રીસ્વામિનીજી અને ભગવદ્દભક્તો સાથેની ગૂઢ રહસ્યલીલાની ભાવના છે.

મર્યાદામાર્ગીય ભાવના:

સ્કંદ પુરાણ અનુસાર શંખાસુરને મારી શ્રી હરિએ ક્ષીરસાગરમાં શયન કર્યું અને ચાર માસ પછી દેવપ્રબોધિની એકાદશીએ જાગ્યા હતા. રાત્રે શેરડીના મંડપમાં તુલસીજી સાથે પ્રભુનો વિવાહ થાય છે. મર્યાદા ભક્તો તુલસી વિવાહના મનોરથી બનીને સ્વ-અધિકાર અનુસાર ભગવદ દર્શન અને સેવાનો અલભ્ય આનંદ પણ માણે છે. 

દેવ પ્રબોધિની કે પદ

રાગ : – કાન્હરો

દેવ જગાવત જશોદા મૈયા |

ફલ ફૂલન સો પૂજી કહત હે , ચિરંજીવો મેરો કુંવર કન્હૈયા ||૧ ||

તુમારે જાગે કુશળ ગોકુલ કી ,બાઢે દૂધ ઔર ગૈયા |

‘ગોવિંદ ‘ પ્રભુ બલરામ કૃષ્ણ કી , લાગો મોહિ બલૈયા ||૨||

પ્રબોધિની કે પદ

રાગ :- કાન્હરો

આજ પ્રબોધિની શુભ દિન નીકો ,અમલ પક્ષ  એકાદશી આઈ |

બહુત ઇખ કુંજન રચી કે સખી , ચહુંઔર દીપકન સુહાઈ ||૧ ||

ઘર ઘર ગોપી ચોક પુરત સબ , બંદનવાર બંધાઈ |

સિંઘાસન ગાડી તકિયા ધરી ,કરી ઉત્થાપન ગોકુલ રાઈ ||૨||

હરે હરે સબ મેવા ધરીકે , સામગ્રી સબ ભોગ  લગાઈ |

ચાર જામ જાગરણ જાગ નીશી ,જાગે દેવ ગોવર્ધન રાઈ ||૩||

મંગલ આરતી કરી વ્રજ સુંદરી , પ્રેમ મગન આનંદ ન સમાઈ |

‘રસિક ‘ પ્રભુ  મંગલ નિધિ આનંદ , મંગલ રૂપ  રાધા સુખદાઈ ||૪||

 

 

 

No comments:

Post a Comment