Monday 26 October 2020

પાશાંકુશા એકાદશી: આસો સુદ / શુકલ પક્ષ

 

પાશાંકુશા એકાદશી: આસો સુદ / શુકલ પક્ષ


જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: હે રાજન! આસો માસના શુકલ પક્ષમાં આવતી વિખ્યાત એકાદશીનું નામ પાશાંકુશા છે. એ સઘળા પાપોને હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગી બનાવનારી, તથા સુંદર સ્‍ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્ય આ એક માત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને કયારેય યમયાતના પ્રાપ્ત નથી થતી.

રાજન! એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્યરૂપ ધારી, ચતુર્ભૂજ, ગરુડની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિતામ્બરધારી થઇને ભગવાન વિષ્‍ણુના ધામમાં જાય છે. રાજન આવા પુરુષો માતૃપક્ષની દશ, પિતૃપક્ષની દશ તથા પત્‍નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉધ્‍ધાર કરી દે છે.

 

એકાદશી ની કથા:

પ્રાચીન સમયમાં મુર નામનો રાક્ષસ હતો. તેણે ઈન્દ્રલોક પર વિજય મેળવીને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો. આ કારણે તમામ દેવતા પરેશાન થઈને ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યાં. અને મુરથી દેવતાઓનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ સ્વયંમાં એકાદશી દેવીને પ્રગટ કર્યા. દેવીએ મુરનો વધ કર્યો ત્યારથી આ દિવસ પાશાંકુશ એકાદશી તરીકે મનાવવામાં આવે છે. ..

 

ભગવાન વિષ્ણુને શક્કર ટેટી અવશ્ય ધરાવવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રી ગુસાંઇજી પરમ દયાળ છે, અનેક પાપો કરવા છતાં જે કૃપાપાત્ર જીવો છે તેનો અંગીકાર શ્રી ગુસાંઇજી કરે છે. શ્રી ગુસાંઇજીની કૃપાથી કોઈ પણ દેવી દેવતા તેમજ ત્રણ પ્રકારના તાપ-પાપ

આધિભૌતિક (અધિભૂત, આ સૃષ્ટિ સંબંધી, મહાભૂત સંબંધી. (૨) શરીર સંબંધી, શારીરિક),

આધ્યાત્મિક (આત્મા જીવાત્માને લગતું, ‘મૅટાફિઝિકલ’. (૨) પરમાત્માને લગતું, ‘સ્પિરિચ્યુઅલ’),

આધિદૈવિક (અધિદેવને લગતું, પરમતત્વને લગતું, ‘થિયોલૉજિકલ’ (ઉકે). (૨) નસીબને યોગે થયેલું, દેવકૃત) 

ને સાંસારિક સંકટો પ્રતિબંધ કરતા નથી. એટલું જ નહીં, પરંતુ તેમની કૃપાથી લોકો જેને મોક્ષપદ કહે છે ત્યાં નહીં પરંતુ તેથી અધિક નિત્ય લીલા સ્થાન ગૌલોક વ્રજમંડળમાં કૃપાપાત્ર ભગવદીય જનોનો અંગીકાર કરે છે.

આ પ્રકારે ભક્તો અને દૈવી જીવોનાં ભાગ્યની સફળતા કરવા પ્રભુએ ઈચ્છા કરીને સાક્ષાત અગ્નિસ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથ રૂપે ભૂતળ પર પ્રગટ થયા ને દૈવી જીવોનો અંગીકાર કરીને, તથા અનેક પાપો કરીને કુસંગી થયેલા અધમ જીવોનો ઉદ્ધાર કરી કૃતકૃત્ય કર્યા.

કુસંગથી અધમ થયેલા જીવોને શ્રી ગુસાંઇજીએ યમરાજનાં પાસ અને અંકુશ (પાસ એટલે યમરાજ પાસે જીવોને બાંધવા માટેનું દોરડું, ને કુશા એટલે યમરાજ પાસે જીવોને શિક્ષા કરવા માટે રાખતું આયુધ-અંકુશ) માંથી છોડાવી આસો સુદ એકાદશીએ ઉદ્ધાર કર્યો એટલે પાસાંકુશા એકાદશી કહેવાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

 જે માણસોના દિવસો સતસંગ, દાન, પૂણ્ય, પ્રભુદર્શન અને પૂજા વિના ચાલ્યા જાય છે, કુસંગને લીધે અનેક પાપો કરવાથી તેમનો નરકવાસ થાય છે.

બ્રહ્માંડ પુરાણમાં શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહેલા માહાત્મ્ય મુજબ જે પાસાંકુશા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપો, સાંસારિક સંકટો, કુસંગ અને અનેક પ્રકારના તપોમાંથી બચી જાય છે અને સુખ-શાંતિ ભોગવે છે.

આરતી:

જય પાશાં કુશા એકાદશી,જય જય પાશાં કુશા એકાદશી

આસો મહિનો ન્યારો,શુકલ પક્ષે છે પ્યારો

અક્ષય પુણ્ય પામે,સુખ ને નિત એ પામે ……..જય પાશાં કુશા એકાદશી

એકાદશી માં શ્રેષ્ઠી,સૌથી પુણ્ય માં જયેષ્ઠી

ધન ધાન્ય તે દેતી,પૂર્વજો નો ઉદ્ધાર કરતી …..જય જય પાશાં કુશા એકાદશી

વ્રત પાશાં કુશા કરજો,અંતર મન માં પ્રેમે ધરજો

ફળશે એવું એક દિન જો જો,જગ માંહે નામ કરશો …જય જય પાશાં કુશા એકાદશી .

 

 


No comments:

Post a Comment